ભરૂચ જિલ્લાના વાલિયા ખાતે શ્રીમદ ભાગવત કથાના કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા નું ભાગવત કથા મંદિર GNFC ગ્રાઉન્ડ વાલિયા ખાતે 9:30 કલાકે આગમન અને સ્વાગત થયું હતું. પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ રચિત દત્ત બાવની ના પાઠ સાથે યજમાન પરિવાર ગોહિલ ફાઉન્ડેશન દ્વારા પોથી પૂજન કરવામાં આવ્યું.

કથાના પ્રેરક સંત શ્રી કાશ્મીરી બાપુ દિનેશ્વર મહાદેવ મંદિર દહેલીની ઉપસ્થિતિમાં, ગુજરાત રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ (પાણી પુરવઠા અને જળ સંપત્તિ સ્વતંત્ર હવાલો) તથા માજી મહેસુલ મંત્રી ખુમાનસિંહજી વાસિયા અને ભરૂચ જિલ્લા ભાજપ અગ્રણી મારુતિસિહ અટોદરિયા તેમજ સુરત જિલ્લા ભાજપાના અગ્રણી દિલીપસિંહ રાઠોડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શ્રીમદ ભાગવત કથાના સપ્ત દિવસીય ભાગવત યાત્રાનો પ્રારંભ કરાવ્યો.

ભાગવતમ કથાના વિશ્વ વંદનીય કથાકાર પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ શ્રીમદ ભાગવત નો અર્થ સમજાવતા શ્રીમદ એટલે “શ્રી” ધન, સમૃદ્ધિ, સુંદરતા, એશ્વર્યા, જ્ઞાન, બુદ્ધિ અને ગૌરવપૂર્ણ અને ભાગવત નો અર્થ થાય છે “ભા” એટલે પ્રકાશ “ગ” એટલે જ્ઞાન “વ” એટલે વૈરાગ્ય અને “ત” એટલે ત્યાગ( ત્યાગ દ્વારા અમૃત તત્વની પ્રાપ્તિ) એવી શાબ્દિક સમજ સાથે જ ભાવાર્થ અને તત્વાર્થ પણ સમજાવ્યું.

શ્રીમદ ભાગવત નું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું કે 18 પુરાણોમાં તે શ્રેષ્ઠ ગ્રંથ છે. અને તેથી જ તેને પુરાણોનો રાજા પણ કહેવામાં આવે છે. શ્રીમદ ભાગવત એ તો વૈષ્ણવોનો વૈભવ છે. કૃષ્ણ ભક્તિ નો મહિમા સમજાવતો આ ગ્રંથ આધ્યાત્મિક પ્રગતિનો માર્ગદર્શક છે. તેમણે વધુમાં જણાવ્યું કે ભાગવત કથા એ સંસારમાં રહીને જીવન વ્યતિત કરનારા સંસારીઓના ભવરોગ ની દવા છે.
મહાતીર્થ વાલીયા ખાતે યોજાયેલી આ ભાગવતમ કથા એ પરમેશ્વરની યોજના છે. હજારોની સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ કર્ણપ્રિય સંગીતમય કથાનું રસપાન કર્યું હતું. પૂજ્ય ભાઈશ્રીના કથા પ્રવચનમાં સૌ ભક્તો ભાવવિભોર થયા હતા. કથાના અંતે કીર્તન કરતા કરતા સૌ શ્રોતાગણ ભક્તિમાં લીન થયા હતા.
પ્રથમ દિવસની કથાના અંતે ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુ ભક્તો આરતીમાં જોડાયા અને ત્યારબાદ મહાપ્રસાદ લઈ પહેલા દિવસની કથા પૂર્ણ કરી.






