ભરૂચ : લોકશાહીના સૌથી મજબૂત આધારરૂપ મતદાર યાદીને વધુ પારદર્શક અને શુદ્ધ બનાવવા માટે ખાસ સઘન સુધારણા કાર્યક્રમ–૨૦૨૫ અંતર્ગત ભરૂચ જિલ્લામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અન્વયે જિલ્લામાં આવેલા તમામ મતદાન મથકો પર તા.૦૩ અને ૦૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ખાસ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસોમાં નાગરિકો સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫.૦૦ વાગ્યા સુધી પોતાના વિસ્તારના મતદાન મથકની મુલાકાત લઈ મતદાર યાદીમાં પોતાનું નામ, વિગતો તથા ફોટો ચકાસી શકશે અને જરૂરી જણાય તો સુધારા માટે અરજી કરી શકશે.
ભરૂચ જિલ્લામાં પ્રસિદ્ધ કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ ૧૦, ૯૫,૪૨૦ મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ ઉપરાંત કુલ ૧,૦૪,૨૯૯ મતદારો નો મેપીંગ શ્રૈણીમાં આવે છે. જ્યારે મૃત્યુ, ગેરહાજરી, કાયમી સ્થળાંતર, ડુપ્લીકેટ તથા અન્ય કારણોસર ૨,૧૫,૧૮૦ મતદારોના નામ હાલ યાદીમાંથી દૂર રાખવામાં આવ્યા છે. મતદાર યાદી વધુ વિશ્વસનીય બને તે હેતુથી આ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
તાજેતરમાં તા.૨૭ અને ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ યોજાયેલા કેમ્પોમાં મતદારોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. આ દરમિયાન ૧૨૮૫૮ મતદારોએ ફોર્મ–૬, ૭ અને ૮ રજૂ કરી નામ દાખલ કરવાની અને વિગતો સુધારવાની તક ઝડપી હતી. સાથે જ ‘નો મેપિંગ’ કેટેગરીના મતદારોએ સ્વૈચ્છિક પણે નોટિસ તબક્કામાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના થતાં દસ્તાવેજ રજુ કર્યા હતા.
આગામી તા. ૦૩ અને ૦૪ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ યોજાનારા કેમ્પોમાં સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી દરેક મતદાન મથકે બીએલઓ હાજર રહેશે. કોઈપણ લાયક મતદાર મતદાર યાદીમાંથી વંચિત ન રહે અને મતદારોને એક જ સ્થળે ડ્રાફ્ટ મતદારયાદીમાં પોતાનું નામ જોઈ શકે, ASD( ગેરહાજર, સ્થળાંતર, મૃત્યુ)ની યાદી જોઈ શકે, નવા મતદારો ફોર્મ ભરી શકે જેવી વિવિધ સેવાઓ મળી રહે તેવા મુખ્ય ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મતદાર યાદી સંબંધિત હક્ક-દાવા તથા વાંધા અરજી કરવાની અંતિમ તારીખ તા.૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મતદારો ઉપરાંત માન્ય રાજકીય પક્ષોના બી.એલ.એ. દ્વારા પણ રજૂઆતો કરી શકાશે. લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે મતદારોને આ ખાસ કેમ્પોનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્નારા અનુરોધ કરવામાં આવ્યો છે.







